RSS

Monthly Archives: November 2013

દીપાવલી : પાંચ દિવસનું પર્વ

Imageદીપાવલી દીપોનો એટલે કે પ્રકાશનો તહેવાર છે. દીપાવલી એક એવું પર્વ છે જેને આપણે સૌથી મોટું પર્વ કહી શકીએ. દીપાવલી હિન્દુઓનું સૌથી મોટું પર્વ છે. દીપાવલી વાસ્તવમાં એક દિવસનું નહીં, પરંતુ પાંચ દિવસનું પર્વ છે. આસો સુદ તેરસ એટલે કે ધનતેરસથી લઈને કારતક સુદ બીજ એટલે કે ભાઈબીજ સુધી દીપાવલી મનાવવામાં આવે છે. દીપાવલીમાં દીપ પ્રગટાવવાનું તથા લક્ષ્મી પૂજનનું વિશેષ મહત્ત્વ છે. આ પર્વ દરમિયાન લોકો ઘરની સાફ-સફાઈ કરે છે, ઘરના આંગણાને રંગોળીઓથી સજાવે છે, દરવાજે આસોપાલવનાં તોરણો બાંધે છે, નવાં કપડાં પહેરે છે, મીઠાઈ ખાય છે અને ફટાકડા ફોડીને આનંદ કરે છે. આમ,દીપાવલી હર્ષોલ્લાસ અને આનંદનું સૌથી લાંબું પર્વ છે.

ધનતેરસ

પંચપર્વ દીપાવલીની શરૂઆત ધનતેરસના દિવસથી થાય છે. ધનતેરસના દિવસે લક્ષ્મીજી, ધન્વંતરી અને યમરાજનું પૂજન કરવામાં આવે છે. લક્ષ્મીજી ધનનાં દેવી છે. તેઓ સમુદ્રમંથનમાંથી પ્રગટ થયાં હતાં અને ભગવાન વિષ્ણુને વર્યા હતાં. ધનતેરસના દિવસે ધન-ધાન્ય, સુખ-સમૃદ્ધિ મેળવવા માટે રાત્રે લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે છે. ધનતેરસના દિવસે લક્ષ્મીપૂજન સાથે ગરીબ ખેડૂતની કથા જોડાયેલી છે. લક્ષ્મીજીએ કહ્યું છે કે ધનતેરસના દિવસે મારું પૂજન કરવાથી હું તે ઘરમાં વાસ કરીશ. ધનતેરસના દિવસે સોનું-ચાંદી ખરીદવાની પણ પરંપરા છે. એક એવી માન્યતા પણ જોડાયેલી છે કે ધનતેરસે કોઈ નવી વસ્તુ ખરીદવામાં આવે તો તેમાં તેર ગણી વૃદ્ધિ થાય છે. આ જ દિવસે ધનના દેવતા કુબેરની પણ પૂજા કરવામાં આવે છે.

લક્ષ્મીજીની જેમ દેવતાઓના વૈદ્ય ધન્વંતરી પણ સમુદ્રમંથન દરમિયાન હાથમાં અમૃતકળશ લઈને પ્રગટ થયા હતા, તેથી ધનતેરસના દિવસે ધન્વંતરી જયંતી મનાવવામાં આવે છે. તેઓ હાથમાં વાસણ (કળશ) લઈને પ્રગટ થયા હોવાથી ધનતેરસના દિવસે નવાં વાસણ ખરીદવાની પરંપરા છે. વૈદ્ય, હકીમ અને બ્રાહ્મણો સહિત અનેક લોકો ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીનું પૂજન કરે છે, કારણ કે સારા સ્વાસ્થ્ય વગર ધન શું કામનું?

ધનતેરસના દિવસે મૃત્યુના દેવતા યમરાજના પૂજનનું પણ વિધાન છે. તેની પાછળ અનેક રસપ્રદ કથાઓ જોડાયેલી છે. આ પૂજા દિવસે નહીં, પરંતુ રાત્રે કરવામાં આવે છે. આ દિવસે યમરાજના નિમિત્ત દીપદાનનું વિશેષ મહત્ત્વ છે. તેના માટે દક્ષિણ દિશામાં દીવો કરવામાં આવે છે જેને જમદીવો કહે છે. એવું કહેવાય છે કે દીપદાન કરવાથી અકાળ મૃત્યુ નથી થતું.

કાળીચૌદશ

દીપાવલીના એક દિવસ પહેલાં કાળીચૌદશ હોય છે. જેને રૂપ ચૌદશ કે નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. કાળીચૌદશને નાની દિવાળી પણ કહે છે. આ દિવસે ચારે બાજુ દીવાઓ પ્રગટાવવામાં આવે છે. માતાજીનાં બે રૂપ છે. તેમાંથી એક છે, સૌમ્ય અને બીજું છે રૌદ્ર. કાળીચૌદશના દિવસે મહાકાળીના રૌદ્ર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ જ દિવસે હનુમાન પૂજાનું પણ વિધાન છે. આ દિવસ તાંત્રિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે પણ ઉત્તમ માનવામાં આવે છે.

આપણા અન્ય તહેવારોની માફક કાળીચૌદશ પણ આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પર્વ છે. આજના દિવસે જ ભગવાન શ્રીકૃષ્ણે નરકાસુરનો વધ કર્યો હતો, તેથી આ ચૌદશ નરક ચતુર્દશી તરીકે ઓળખાય છે. નરકાસુરના વધ બાદ તેણે બંધક બનાવેલી સોળ હજાર એક સો કન્યાઓને મુક્ત કરાવી હતી. નરકાસુરના અત્યાચારમાંથી મુક્તિ મળતાં સૌ નગરવાસીઓએ દીવા પ્રગટાવીને ઉત્સવ મનાવ્યો હતો. શ્રીકૃષ્ણના શરીરમાંથી નરકાસુરના લોહીની દુર્ગંધ આવતી હતી. તેને દૂર કરવા માટે તેમને સુગંધિત તેલથી માલિશ કરી સુગંધિત જળથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. ત્યારથી કાળીચૌદશના દિવસે શરીર પર તેલથી માલિશ કરીને સ્નાન કરવાની પરંપરા શરૂ થઈ.

રૂપ ચતુર્દશી નામ પાછળ પણ એક કથા સંકળાયેલી છે. તે અનુસાર હિરણ્યગર્ભ નામના પ્રદેશમાં એક યોગીએ ભગવાનને પામવા માટે સમાધિ ધારણ કરી. આ દરમિયાન તેમના શરીરમાં કીડા પડી ગયા અને તેમનો દેખાવ કદરૂપો બની ગયો. નારદજીએ યોગીનું આ રૂપ જોઈને તેને ફરીથી સ્વરૂપવાન બનવા માટે આસો વદ ચૌદશનું વ્રત કરવાનું કહ્યું. આ વ્રત કરવાથી તે યોગી સ્વરૂપવાન બની ગયો. ત્યારથી કાળીચૌદશ રૂપચૌદશ તરીકે ઓળખાવા લાગી. સ્વરૂપવાન બનવાની કામના સાથે સ્ત્રીઓ આ દિવસે શૃંગાર કરે છે. કાળીચૌદશના દિવસે પણ અકાળ મૃત્યુ રોકવા અને સ્વાસ્થ્યની સુરક્ષા માટે યમરાજનું પૂજન કરવામાં આવે છે.

દીપાવલી

દીપાવલીને દિવાળી પણ કહે છે. દીપાવલી શબ્દ દીપ તથા આવલીની સંધિથી બનેલો છે. દીપ એટલે દીવો અને આવલી એટલે પંક્તિ. આમ, દીપાવલીનો અર્થ છે દીવાઓની પંક્તિ. તેથી જ દીપાવલીને દીપોત્સવ પણ કહે છે. ભારતમાં મનાવવામાં આવતા તહેવારોમાં દીપાવલીનું મહત્ત્વ વિશેષ છે. તેને દીપોત્સવ પણ કહે છે. તે સંદેશ આપે છે કે ‘તમસો મા જ્યોતિર્ગમય’ એટલે કે અંધારામાંથી પ્રકાશ તરફ જાઓ. આ જ ઉપનિષદોની આજ્ઞા છે. જેને દરેક ધર્મના લોકો માને છે. દીપાવલીની ઉજવણી પાછળ સૌથી મોટી માન્યતા એ છે કે ભગવાન શ્રીરામ ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરી અને રાવણનો વધ કરીને અયોધ્યા પાછા ફર્યા હતા. પોતાના પ્રિય રાજા રામના આગમનથી અયોધ્યાવાસીઓ ઉલ્લાસમાં આવી ગયા અને શ્રીરામના સ્વાગત માટે નગરમાં ઘીના દીવા પ્રગટાવ્યા હતા. આસો વદ અમાસની અંધારી રાત્રિ દીવાઓના પ્રકાશમાં ઝગમગી ઊઠી ત્યારથી દિવાળી ઊજવવાની શરૂઆત થઈ.

દીપાવલી વર્ષ (વિક્રમ સંવત)નો છેલ્લો દિવસ છે. વેપારીઓ પોતાની દુકાન કે કાર્યસ્થળની સાફ-સફાઈ કરીને શારદા (ચોપડા) પૂજન તથા લક્ષ્મીપૂજન કરે છે અને આવનારું વર્ષ સુખ-સમૃદ્ધિથી સભર રહે તેવી કામના કરે છે. દિવાળીના દિવસે લોકો ગણેશ,સરસ્વતી અને લક્ષ્મીજીનું પૂજન કરે છે અને ઘરને દીવાઓથી ઝગમગાટ કરી દે છે. નવાં કપડાં પહેરે છે, ઘરના આંગણામાં રંગોળી બનાવે છે તથા આતશબાજી કરે છે. આમ, ધૂમધામપૂર્વક દિવાળીની ઉજવણી થાય છે. મહાવીર સ્વામી દિવાળીના દિવસે જ નિર્વાણ પામ્યા હતા.ળનૂતન વર્ષ

દિવાળીના બીજા દિવસે નૂતન વર્ષ ઊજવવામાં આવે છે. આ દિવસથી વિક્રમ સંવતના નવા વર્ષની શરૂઆત થાય છે. નૂતન વર્ષની નવ પ્રભાતે સૂર્યનો પ્રકાશ દરેક મનમાં નવી આશાઓનો ઉજાસ પાથરે છે. નવું વર્ષ નવી આશાઓ અને નવા વિચારો લઈને આવે છે. આ દિવસે લોકો ગયા વર્ષનાં મનદુઃખ, વેરભાવ, કડવાશ, ખારાશ એમ તમામ અવગુણોને ત્યજીને સૌને સાલ મુબારક, નૂતન વર્ષાભિનંદન કે હેપ્પી ન્યૂ યર કહીને નવા વર્ષની શુભકામનાઓ આપે છે.

નૂતન વર્ષના પ્રથમ દિવસે બધાં જ લોકો પોતાના વડીલોનાં ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવે છે. જ્યારે વડીલો તેમને બક્ષીસ આપે છે. આ દિવસે બધાં જ લોકો નવાં કપડાં પહેરે છે. આંગણાને સુંદર રંગોળીથી સજાવે છે. દરવાજે આસોપાલવનાં તોરણ સજાવે છે. લોકો સંબંધીઓ અને પડોશીઓના ઘરે જાય છે. મહેમાનોને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવવામાં આવે છે.

નૂતન વર્ષનું ધાર્મિક મહત્ત્વ પણ છે. આ દિવસે ગોવર્ધન પૂજા થાય છે. ગાયના છાણથી ગિરિરાજ ગોવર્ધનનાથનું સ્વરૂપ બનાવવામાં આવે છે. આ ગોવર્ધનનાથની પરિક્રમા અને પૂજન કરવામાં આવે છે. નૂતન વર્ષે દરેક મંદિરોમાં અન્નકૂટ ધરાવવામાં આવે છે.

ભાઈબીજ

કારતક સુદ બીજનો દિવસ ભાઈબીજ કે યમદ્વિતીયા તરીકે ઓળખાય છે. આ દિવસ ભાઈ-બહેનના પ્રેમ અને સ્નેહને વ્યક્ત કરે છે. ભાઈબીજના દિવસે ભાઈ બહેનના ઘરે ભોજન કરવા જાય છે અને બહેનને યથાશક્તિ ભેટ આપે છે. આ પરંપરા પાછળ એક ધાર્મિક કથા સંકળાયેલી છે. યમુનાજી વારંવાર પોતાના ભાઈ યમરાજને મળવા જાય, પરંતુ તેઓ જ્યારે ભાઈના ઘર પાસેથી પસાર થતાં ત્યારે તેમની નજર યમપુરી પર પડતી. યમપુરીમાંથી આવતા જીવોના ચિત્કારો અને પીડાત્મક આર્તનાદ સાંભળીને યમુનાજીનું કોમળ હૃદય દ્રવી ઊઠતું. યમુનાજીને પોતાના ભાઈ યમરાજ ખૂબ જ વહાલા હતા, તેથી તેમને પોતાને ત્યાં ભોજન કરવાનું વારંવાર આમંત્રણ આપે, પરંતુ યમરાજ કામમગ્ન હોઈ જઈ શકતા નહીં. એક દિવસ અશ્રુભીની આંખે કારતક સુદ બીજના દિવસે જમવા પધારવા માટે યમુનાજીએ યમરાજને વિનંતી કરી. બહેનની આંખમાં આંસુ જોઈને યમરાજે જમવા પધારવાનું આમંત્રણ આપ્યું. યમરાજ પોતાની બહેનને ત્યાં પોતાનું વચન પૂરું કરવા પરિવાર સહિત પધાર્યા. ભોજન કર્યા પછી યમરાજે યમુનાજીને વસ્ત્રાલંકારો આપ્યાં અને હજુ પણ કંઈ માગવું હોય તો માગવા જણાવ્યું. ત્યારે યમુનાજીએ માગ્યું કે, “આપ કૃપા કરીને યમપુરીમાં પીડાઈ રહેલાં જીવોને મુક્ત કરો.”

યમરાજે કહ્યું, “બહેન, મારું કાર્ય જીવોને તેમનાં કર્મ પ્રમાણે દંડ આપવાનું છે, પરંતુ તેં મારી પાસે વચન માગ્યું છે, તેથી હું તને વચન આપું છું કે આજના દિવસે જે ભાઈ-બહેન યમુના જળમાં સ્નાન કરી તારા જળરૂપી અમૃતનું પાન કરશે તથા જે ભાઈ બહેનના ઘેર જઈને ભોજન કરી ભેટ આપશે તેને કદીયે યમ કે યમપુરીનો ભય નહીં રહે.”

 
1 Comment

Posted by on November 3, 2013 in Dinu's